નાદાન મન_મોહમ્મદઅલી’વફા’
કોઇને ઝંખ્યા કરે નાદાન મન.
આગમાં બળ્યા કરે નાદાન મન.
કોકિલાના કંઠમાં જઇ એ રડે,
દિલ મહીં ડંખ્યા કરે નાદાન મન.
જે નથી મળ્યું એનો શોક શો,
કેમ આ ઝૂર્યા કરે નાદાન મન.
હું સપાટી પર રહું છું બે ખબર,
યાદમાં તર્યા કરે નાદાન મન.
કોઇ સમજાવો હઠીલાને હવે,
કેમ આ તડપ્યા કરે નાદાન મન.
વેદનાનાં ભારથી એ દૂઝતું,
આંખથી ઝર્યા કરે નાદાન મન.
મન તણી આ વાતનો પણ તાગ કયાં
બસ ‘ વફા’ ભમ્યા કરે નાદાન મન.
(6 એપ્રીલ 1966)